આત્મનિર્ભર ગ્રામ યાત્રા, દાહોદ
આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથોનું ગામે ગામ ઉમળકાભેર સ્વાગત
આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સ્વચ્છ ભારત મિશનને વેગવંતુ બનાવવા દાહોદમાં વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ
જિલ્લામાં ૨૭૯૧ વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત રૂ. ૩૩૪.૩૨ લાખના ખર્ચે તેમજ રૂ. ૧૩૫ લાખના ખર્ચે કુલ ૪૫ સામુહિક શૌચાલયના ખાતમુહૂર્ત
દાહોદ, તા. ૧૯ : આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે દાહોદ જિલ્લામાં પાંચેય રથ પોતાના નિર્ધારિત રૂટ પ્રમાણે ગામે ગામ વિવિધ વિકાસ કાર્યોને પહોંચતા કરવા નીકળી પડયા હતા. જે તે ગામના લોકોએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે ગામના વિવિધ વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને નાગરિકોને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા.
જિલ્લાના આગેવાનો સહિત સ્થાનિક અગ્રણીઓએ આ ગ્રામ યાત્રાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ ૨૭૯૧ વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત રૂ. ૩૩૪.૩૨ લાખના ખર્ચે તેમજ રૂ. ૧૩૫ લાખના ખર્ચે કુલ ૪૫ સામુહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરાઇ રહ્યાં છે.
આ ઉપરાંત રૂ. ૨૬.૧૮ લાખના ખર્ચે ૪૪૭ વ્યક્તિગત શૌષખાડા અને રૂ. ૩.૪૫ લાખના ખર્ચે ૪૫ સામુહિક શૌષખાડાનું લોકાર્પણ તેમજ રૂ. ૨૨.૭૨ લાખના ખર્ચે ૩૮૮ વ્યક્તિગત શૌષખાડા અને રૂ. ૪.૨૨ લાખના ખર્ચે ૫૫ સામુહિક શૌષખાડાનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.